પ.પૂ. જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજના સત્સંગના અંશોમાંથી
સ્વર્ગ અને નર્ક
આ સ્વર્ગ કે નર્ક છે ક્યાં? શું ઉપર આકાશમાં સ્વર્ગ કે નર્ક છે? ના સ્વર્ગ કે નર્ક એ આપણી આજુબાજુ આ પૃથવિલોક આ પ્રકૃતિમાં જ છે. સ્વર્ગ કે નર્કએ કોઈ ભૌતિક વસ્તુ કે શારીરિક ભોગ ભોગવવાથી નથી પ્રાપ્ત થતું. ખરેખર તો સ્વર્ગ કે નર્ક મનની અનુભૂતિ છે. મનની અવસ્થા છે. સ્વર્ગ ભોગવવું કે નર્ક ભોગવવવું એ આપના ખુદના હાથમાં છે. ચાલો આપણે જાતે જ આપણું સ્વર્ગ ઊભું કરીએ.
આપણે સૌ ભક્તિ તો કરીએ છીએ પણ આપણને ભક્તિનું ફળ કેટલું મળે છે. તેનું નિરીક્ષણ નથી કરતાં દરરોજની નિત્ય ક્રિયા ઘેંટાના ગાડરિયા પ્રવાહ જેમ થાય છે. આપના નિરીક્ષણ (ઓડીટ)માં તપાસીએ તો ભક્તિ સાથે જ્ઞાનના સમન્વયની જરૂર છે. પ્રથમ ભક્તિ કોની કરી તે સ્વરૂપને જાણવું પડશે. આ જાણવાનું જ્ઞાન એ જ આત્મજ્ઞાન છે.
હંમેશા આપણે સદગુરુ ભરોસે કે ઈશ્વર ભરોસે બેસી રહેવું ઉચિત નથી. ફક્ત એક જ ઘેરથી માળા કે મંત્રમાં ભરાઈ રહેવું ઉચિત નથી. તમારે પણ તમારા ‘સ્વ’ સ્વયમં (આત્મા) પર ભરોશો રાખવો પડશે. તમને તમારા ઉપર ભરોસે નથી તો ભગવાનનો ભરોશો શું કરી લેશે? પરમાત્મા જ્યાં બેઠા છે તે સ્થાન તમારા ‘સ્વ’ સ્વયંમમાં છે. તમારા ‘સ્વ’ તત્ત્વમાં જાવ અંદર ડુબાડી મારો. તો તે તમારી સાથે જ છે. પરમાત્મા સદગુરુ ખુદ તમારા શરણે જ બેઠા છે. તો જીવનમાં જ્ઞાન પ્રાપ્ત થતાં જ સ્વર્ગની સ્થપના થશે તો જીવન આનંદમય, ચિંતાથી મુક્ત બનશે. તો જીવનમાં ચાર સૂત્રો અહીંયા તેનું જ્ઞાન આપું છું. જે જીવનને દિવ્યતાનો અનુભવ કરવાનો છે.
ચાર સૂત્રો છે. સમાધાન, સહકાર, સમર્પણ અને સંતોષ.
સમાધાન : રામદસ સંતને પ્રેમાળ પત્નિ હતી. તે દરેક કાર્યમાં તેમણે સહકાર આપતી, બંને સાથે મળી પ્રભુ ભક્તિ કરતાં. આવી પત્નિ માટે રામદાસે પ્રભુનો આભાર માન્યો.
સંત તુકારામની પત્નિ કજિયાખોર, વાત વાતમાં ઝગડો કરે તેથી તુકારામ ઘરમાં ઓછું રહેતા અને ધાર્મિક સ્થળોએ વધુ સમય ગાળતાં તેમણે આવી પત્નિ માટે પ્રભુનો આભાર માણ્યો. આને કારણે પત્નિમાં જીવ લાગતો નહીં સંસારથી અલિપ્ત રહી શકતા અને ભક્તિ કરી શકતા. સંત નરસિંહ મહેતા નાની ઉમરે વિધુર થયા પત્નીનું મૃત્યુ થતાં તેમણે પ્રભુને કહ્યું, ” ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ.” ત્રણે સંતોની સ્થિતિ જુદી જુદી હતી છતાં પ્રભુએ જે આપ્યું તે પરિસ્થિતી સાથે સમાધાન કરીને તેવી જિંદગી જીવ્યા.
સહકાર : જ્યાં સહકાર છે ત્યાં સ્વર્ગ છે, એક માણસને તેની ભક્તિના કારણે ભગવાનને સ્વર્ગ અને નર્ક બતાવ્યા . નરકમાં ગયા તો ત્યાં જમવા માટે બત્રીસ ભોજન હતા પરંતુ બધા લોકોના હાથ, કોણીમાંથી વળતાં ન હતા. જેથી ભોજન હોવા છતાં મોંઢામાં કોળિયો જતો ન હોતો અને ભૂખે મરતા હતા, બીજી તરફ સ્વર્ગમાં ગયા તો ત્યાં પણ બત્રીસ જાતનાં ભોજન હતા બધા લોકોના હાથ કોણીએથી વળતા નહોતા પણ બધા એકબીજાની સામે બેસીને સં-સામે કોળીયા ભરી સામે વાળાને જમાડતા હતાં. ટૂંકમાં આ જ્ઞાનનો સાર છે કે સામ-સામે સહકારથી બધા જમી આનંદથી સ્વર્ગ જેવુ સુખ ભોગવતા હતાં.
સમર્પણ : આપણા જીવનમાં સમર્પણની ભાવના છે. એક બીજા માટે જતું કરવાની ભાવના છે, ત્યાં જ સ્વર્ગ છે. દા.ત. એક ઘરમાં બે બાળકો માતા-પિતા અને દાદા-દાદી એમ છ સભ્યો છે. પ્રસાદમાં છ પેંડા છે, દરેકને ભાગે એક-એક પેંડો આવે છે પણ દાદા-દાદી-માતા-પિતા પોતાના ભાગમાંથી બાળકોને વધારે આપે છે. નાના બાળકો પણ પોતાના નાના-હાથ વડે મમ્મી-પપ્પાને અને દાદા-દાદીને પેંડો ખવડાવે છે. ઘરમાં જાણે સ્વર્ગ છે. એકબીજા માટે સમર્પણની ભાવના છે તો ક્યાંક એક વસ્તુ માટે થોડા મિલકત માટે લડાઈ ઝગડા કે કોર્ટ કચેરી થતી જોવા મળે છે. ત્યાં નર્ક સિવાય બીજું કશું જોવા મળશે.
સંતોષ : જીવનમાં સંતોષ છે ત્યાં સ્વર્ગ છે. માણસની ઇચ્છાઓનો કોઈ જ અંત જ નથી. એક ઈચ્છા પૂરી થાય ત્યાં તો બીજી ઉભી જ હોય અને આથી વ્યક્તિઓની જિંદગી ઈચ્છાઓ પૂરી કરવામાં જ પૂરી થઈ જાય છે. પણ જે વ્યક્તિ જેટલું મળ્યું તેમાં સંતોષ માને તો તેને સ્વર્ગની અનુભૂતિ થાય છે. દા. ત. એક ઝુંપડા આગળ સેવાભાવ વ્યક્તિઓ અનાજ અને ભોજન આપવા આવ્યા ત્યારે ઝુંપડા માંથી એક વૃદ્ધે બહાર આવી કહ્યું ભાઈ મારી પાસે આજના દિવસના સવાર અને સાંજના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે. જેથી મારા કરતાં વધારે જરૂરિયાતવાળાને આ અનાજ આપો. માત્ર બે ટંકનું ભોજન જ પોતાની પાસે હોવા છતાં કોઈ લોભ નહીં, જેટલું મળ્યું તે પણ ઘણું છે. તેવી સમજ સ્વર્ગ ઉભું કરી શકે છે. એટલે કે જીવનમાં સમાધાન, સહકાર, સમર્પણ અને સંતોષને સ્થાન આપીશું. આપણા વ્યવહારમાં આચરણ તેને સ્થાનઆપીશું તો ચોક્કસ આપણા પરિવારને સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત થશે તેમાં કોઈ બે મત નથી. જય ગુરુદેવ …